સંસ્કારી નગરી વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જે ગુજરાતની લીમ્પોપો તરીકે ઓળખાય છે. વિશ્વામિત્રી નદી સેંકડો મગરોનું ઘર છે, ત્યાં આજે એક મગરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાના વાડી વિસ્તારમાં નદીના પાણીમાં મગર મૃત હાલતમાં તરતો હોવાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.


300 મગરો વચ્ચેથી બહાર કાઢ્યો મૃતદેહ

નદીમાં ઉતરીને મગરના મૃતદેહને બહાર લાવવો વન વિભાગ માટે મુશ્કેલ હોવાથી તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. વડીવાડી ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક સાધન-સામગ્રી સાથે વિશ્વામિત્રીના કાંઠે પહોંચ્યા હતા. નોંધનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં 300 થી વધુ હિંસક મગરોનો વસવાટ છે, જે કોઈપણ સમયે હુમલો કરી શકે છે.

મગરના મોતનું કારણ અકબંધ

આવા જોખમી વાતાવરણમાં પણ ફાયર બ્રિગેડના બહાદુર જવાનો નદીના પાણીમાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ જીવના જોખમે મગરના મૃતદેહને નદીની બહાર લાવ્યા હતા. ત્યારબાદ મગરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. મગરના મોતનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ વન વિભાગ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી


  • Follow us on: