વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં હાલ રવિ સિઝનની જમાવટ જોવા મળી રહી છે. પરંતુ ખેડૂતો માટે આ સમય આનંદને બદલે ચિંતાનો બની ગયો છે. ડભોઇ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવી રહ્યા છે. છેલ્લાં 10 દિવસથી ખેડૂતો એક થેલી ખાતર મેળવવા માટે ડેપોના ધક્કા ખાઇ રહ્યા છે.છતાં તેમને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યુ છે.

કતારોમાં વીતતો દિવસ

ડભોઇના ગુજકોમાસોલ અને સરદાર ડેપો ખાતે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળે છે. કડકડતી ઠંડીમાં વૃદ્ધ ખેડૂતો પણ લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. તેમ છતાં, ડેપો પર સ્ટોક નથી ના પાટિયા વાંચીને ખેડૂતોમાં રોષ અને લાચારી વ્યાપી ગઇ છે.

પાક પર જોખમનો ભય

વર્તમાન સમયમાં ખેડૂતોએ ઘઉં, તુવેર અને દિવેલા જેવા મહત્વના પાકોનું વાવેતર કર્યુ છે. આ પાકોના વિકાસ માટે યુરિયા ખાતર એ પાયાની જરૂરિયાત છે.જો સમયસર ખાતર આપવામાં ન આવે, તો પાકનો વિકાસ અટકી જાય છે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો આવવાની શક્યતા રહેલી છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી ૨-૩ દિવસમાં ખાતર નહીં મળે, તો આખી સિઝન નિષ્ફળ જશે

ખાતર માટે ખેડૂતોનો રઝળપાટ

એક તરફ સરકાર કૃષિ મહોત્સવ અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે. બીજી તરફ પાયાની જરૂરિયાત સમાન ખાતર માટે ખેડૂતોને રઝળપાટ કરવો પડે છે. ગુજકોમાસોલ અને સરદાર ડેપોમાં સ્ટોક કેમ નથી? શું આ કોઇ કૃત્રિમ અછત છે? તેવા અનેક સવાલો અત્યારે ડભોઇના ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાઇ રહ્યા છે.


  • Follow us on: