વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. થોડા સમયથી તેમની હૃદયરોગની સારવાર ચાલી રહી હતી.યોગેશ પટેલ વડોદરામાં ભાજપના સૌથી સિનિયર નેતા હતાં. તેમના અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરી જતાં ભાજપના અનેક સિનિયર નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. તેમના અંતિમ સંસ્કાર 4 જૂને કરવામાં આવશે તેવી વિગતો પણ સામે આવી છે.

ચોથી જૂનના રોજ તેમના અંતિમ સંસ્કાર કરાશે

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના પુત્ર અને પુત્રી સહિતના સગાઓ વિદેશથી વડોદરા આવશે ત્યાર બાદ ચોથી જૂનના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. યોગેશ પટેલનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ હૃદયરોગની બિમારીથી પીડાતા હતાં. તેમને બે દિવસ પહેલા જ વડોદરામાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તેમના અવસાન બાદ ભાજપના અનેક સિનિયર નેતાઓએ તેમના વ્યક્તિત્વ વિશે વાત કરી હતી. મુખ્યમંત્રી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.

યોગેશ પટેલ સતત આઠ ટર્મથી ધારાસભ્ય રહ્યાં છે.

તેઓ 1990માં જનતા પાર્ટીમાં જોડાયા હતાં. ત્યાર બાદ તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતાં. જનતાદળમાંથી તેઓ 1995માં ભાજપમાં જોડાયા હતાં. તેઓ શહેરની રાવપુરા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. જ્યારે માંજલપુર બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. તેઓ આઠ વખત ધારાસભ્ય તરીકે જીત્યા હતાં.યોગેશ પટેલ સતત આઠ ટર્મથી ધારાસભ્ય રહ્યાં છે.

આ પણ વાંચોઃ Vadodara news: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન