વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ટીંગલોદ ગામેથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. ગામના તળાવમાં માછીમારી કરવા ગયેલા 55 વર્ષીય આધેડનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

માછીમારી કરતી વખતે સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ટીંગલોદ ગામના રહેવાસી રાજેશભાઈ વસાવા (ઉંમર 55 વર્ષ) રોજની જેમ ગામના તળાવમાં માછીમારી કરવા માટે ગયા હતા. માછીમારી દરમિયાન અચાનક તેમનો પગ લપસતા અથવા અન્ય કોઈ કારણોસર તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબા સમય સુધી તેઓ બહાર ન આવતા સ્થાનિકોએ શોધખોળ કરી હતી અને બાદમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર ટીમની ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો

ઘટનાની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ બોટ અને અત્યાધુનિક બોડી સેન્સર ડિટેક્ટરની મદદથી તળાવના ઊંડા પાણીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ રાજેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ મૃતદેહને બહાર કાઢી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

ગામમાં શોકનો માહોલ

ઘરના મોભીના અકાળે અવસાનથી વસાવા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. ટીંગલોદ ગામમાં પણ આ ઘટનાને પગલે ભારે સન્નાટો પ્રસરી ગયો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Vadodara: કરજણના નારેશ્વર રોડ પર બાઈક સ્લીપ થતા ડમ્પર ફરી વળ્યું, 2 વર્ષની માસૂમ બાળકી અને યુવકનું કરુણ મોત