પાદરા-ડભાસા રોડ પર પસાર થતી મહલી નર્મદા કેનાલમાં આજે સવારે એક અજાણી મહિલાની લાશ તરતી જોવા મળી હતી. સ્થાનિકોની નજર કેનાલમાં તરતા મૃતદેહ પર પડતા તુરંત પાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આ મહિલા લુણા ગામ તરફથી કેનાલના પાણીમાં તણાઈને અહીં આવી હોવાનું મનાય છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે મહિલા કેનાલ કિનારે કપડાં ધોવા માટે ઉતરી હશે અને અચાનક પાણીના તેજ વહેણમાં પગ લપસી જવાથી અથવા ખેંચાઈ જવાથી આ દુર્ઘટના બની હોઈ શકે છે.

પોલીસે તપાસ હાથ ધરી

પાદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મહિલાના મૃતદેહને કેનાલની બહાર કાઢ્યો હતો. હાલમાં આ મહિલા કોણ છે અને ક્યાંની વતની છે તે અંગેની કોઈ વિગતો મળી શકી નથી, જેને પગલે પોલીસે આસપાસના ગામોમાં ગુમ થયેલ વ્યક્તિઓની માહિતી એકત્રિત કરી ઓળખ વિધિની કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.