મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા ગામ પાસે આજે એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પુરઝડપે આવી રહેલી કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા તેના પુત્રનું માથું છૂંદાઈ જતાં કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને એક કલાકથી વધુ સમય સુધી હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો.

સુંદરપુરા ગામ પાસે ભયાનક અકસ્માત

મળતી માહિતી મુજબ, સુંદરપુરા પાસે કાર અને બાઈક વચ્ચે થયેલી અથડામણ એટલી જોરદાર હતી કે બાઈક સવાર રોડ પર ફેંકાઈ ગયા હતા. બાઈક ચાલક લાંબા સમય સુધી રસ્તા પર તરફડિયા મારતો રહ્યો હતો, પરંતુ સમયસર સારવાર ન મળતા તેણે દમ તોડ્યો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર એક મહિલા અને નાની બાળકીને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

લોકોનો આક્રોશ અને ચક્કાજામ

અકસ્માત બાદ લગભગ બે કલાક સુધી મૃતદેહ હાઈવે પર પડી રહ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો રોષે ભરાયા હતા. લોકોએ હાઈવેની બંને તરફ વાહનો ઉભા રખાવી ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. લોકોની માંગ હતી કે આ વિસ્તારમાં અકસ્માતો રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ કપુરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે રોષે ભરાયેલા લોકોને સમજાવીને એક કલાક બાદ હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.

આ પણ વાંંચો: Valsad: સુરતના કુલીના મોત મામલે રેલવે પોલીસ શંકાના દાયરામાં, સાથી કુલીઓએ સિવિલ હોસ્પિટલ ગજવી