વડોદરાથી પાવાગઢ દર્શન અને પ્રવાસ માટે ગયેલા બે શિક્ષકોના નર્મદા કેનાલમાં ડૂબી જવાની ઘટનામાં ત્રીજા દિવસે એક શિક્ષકનો મૃતદેહ હાથ લાગ્યો છે. કાલોલ તાલુકાના ખંડીવાળા પાસે બનેલી આ ઘટનામાં શિક્ષક રાહુલ યાદવનો મૃતદેહ ઘટનાસ્થળથી આશરે 20 કિમી દૂર સમા ગામ પાસેથી મળી આવ્યો છે.

બે શિક્ષકોના નર્મદા કેનાલમાં ડૂબી ગયા

મળતી વિગતો મુજબ, શિક્ષકોનો આ સમૂહ પાવાગઢ ફરવા માટે ગયો હતો. પરત ફરતી વખતે કાલોલ તાલુકાના ખંડીવાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે તેઓ રોકાયા હતા. આ દરમિયાન શિક્ષક રાહુલ યાદવ કેનાલના કિનારે પગ ધોવા માટે નીચે ઉતર્યા હતા. કમનસીબે, કેનાલની પાળી પર પગ લપસતા તેઓ સીધા ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. તેમને બચાવવા જતા અન્ય સાથી શિક્ષક પણ ડૂબ્યા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું.

કેનાલમાં સઘન સર્ચ ઓપરેશન

ઘટનાને પગલે છેલ્લા ત્રણ દિવસથી ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આજે શોધખોળ દરમિયાન, ખંડીવાળાથી 20 કિમી દૂર આવેલા કાલોલ તાલુકાના સમા ગામ પાસેથી રાહુલ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે કાલોલના સરકારી દવાખાને ખસેડ્યો છે.

આ પણ વાંચો:ઓડદર પાસે દીપડો પથ્થરની ખાણમાં ફસાયો, સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી