વડોદરાના સરસિયા તળાવ અને મગર સ્વામી આશ્રમ પાસેના સરકારી બિન-નંબરી સર્વે વિસ્તારમાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજે વહેલી સવારથી જંગી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સીટી પ્રાંત અધિકારી બી. એસ. સાંબળ અને સંયુક્ત પોલીસ કમિશનર ડો.લીના પાટીલની સીધી દેખરેખ હેઠળ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
1995થી ચાલતો વિવાદ ઉકેલાયો
પ્રાંત અધિકારી બી. એસ. સાંબળના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં દબાણ હટાવવાની પ્રક્રિયા વર્ષ 1995થી પેન્ડિંગ હતી. આશરે 38 થી 40 જેટલા કોમર્શિયલ યુનિટોએ સરકારી જમીન પર કબ્જો જમાવ્યો હતો. આજે પાલિકાની દબાણ શાખાની ટીમે બફર ઝોનમાં આવેલા કાચા-પાકા શેડ અને ઝૂંપડાં સહિત 50% થી વધુ કોમર્શિયલ દબાણો દૂર કરી દીધા છે.













