વડોદરા મહાનગર પાલિકા અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે વર્ષોથી પાનમ યોજનાના કરાર અંતર્ગત રૂા. ૪,૭૦૦ કરોડ ઉપરાંતના બાકી બિલને લઈ ચાલી રહેલા વિવાદ મુદ્દે આજે મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્યો, VMCના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર સાથે ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવતા વર્ષોથી ચાલતા આ વિવાદનો અંત આવે, તેવું દેખાઈ રહ્યું છે.
રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને VMCએ વર્ષો પૂર્વે પાનમ યોજના હેઠળ કરાર કર્યા હતા
જે અંતર્ગત VMC દ્વારા મહિસાગર નદી ખાતે આવેલા ફાજલપુર, રાયકા, દોડકા અને પોઈચા ફ્રેન્ચવેલમાંથી પાણી લેવામાં આવતું હતું. જે લોકોને પહોંચાડવામાં આવતું હતું. કરાર મુજબ મહિસાગર નદીમાંથી પાણી લેવા માટે સિંચાઈ વિભાગને દર મહિને મ્યુનિ.કોર્પોરેશન ચૂકવણું કરતું હતું. ત્યારબાદ વિવાદ થતાં સિંચાઈ વિભાગે કરાર તોડી નાંખી પાનમ યોજનાના બાકી રૂપિયાનું બિલ આપવાનું શરૂ કર્યું હતું. જેમાં વ્યાજ, પેનલ્ટી અને બાકી બિલની રકમ સાથે આંકડો રૂા. ૪,૭૩૩ કરોડ પર પહોંચી ગયો હતો.













