વડોદરાના ગોરવા વિસ્તારમાં 4 મહિના તોડી પડાયેલા મકાનો બાદ રહીશોને ઘરનું ઘર ના મળતા ઠંડીની સિઝનમાં 250થી વધુ લોકો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. આ રહીશોએ તેમને ઘરનું ઘર ફાળવાય તેવી માગ સાથે આજે કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગ કચેરીએ જઇને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
ઘરનું સ્વપ્ન હજી પૂર્ણ થઈ શક્યું નથી
ગોરવા વિસ્તારમાં રહેતા આ પરિવારોનું તેમના ઘરનું સ્વપ્ન હજી પૂર્ણ થઈ શક્યું નથી. એફોર્ડેબલ હાઉસિંગ કચેરી સામે આજે રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો.
પૂંઠાના ઘર દર્શાવીને પોતાનો વિરોધ રજૂ કર્યો
રહિશો આજે કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગ કચેરીએ પહોંચ્યા હતા અને પૂંઠાના ઘર દર્શાવીને પોતાનો વિરોધ રજૂ કર્યો હતો અને તેમને મકાન ફાળવાય તેવી માગ કરી હતી
આવાસ માટે 5 હજાર ડિપોઝિટ ભરી
આ રહિશોએ એફોર્ડેબલ હાઉસિંગથી ઘર મેળવવા માટે 5,000 રૂપિયા ડિપોઝિટ ભર્યા હોવા છતાં તેમને હજી સુધી મકાનો ફાળવાયા ના હોવાનું જણાવ્યું હતું
કોર્પોરેશનના 1164 આવાસ યોજના રેડી છે
રહિશો સાથે રહેલા અગ્રણીઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશન આ લોકોને ચાર મહિનાથી માત્ર આશ્વાસન આપી રહી છે. પણ તેમને મકાનો ના મળતા તે બધા હવે આ ઓફિસના કંપાઉન્ડમાં રહેવા આવ્યા. આરટીઆઇ દ્વારા જાણવા મળ્યું છે કે કોર્પોરેશનના 1164 આવાસ યોજના રેડી છે અને 32 આવાસ જ ફાળવાયા છે. બાકીના આવાસો ખાલી છે પણ આ ગરીબોને આવાસો ફાળવાતા નથી
તમામ ગરીબો રસ્તા ઉપર ઠંડીમાં સામાન લઇને બેસી રહ્યા છે
અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ તમામ ગરીબો રસ્તા ઉપર ઠંડીમાં સામાન લઇને બેસી રહ્યા છે. તમે આવાસ કેમ આપતા નથી તેવો અમારો પ્રશ્ન છે કારણ કે જો ધારાસભ્યોને જો આલિશાન ફ્લેટ મળતા હોય તો ગરીબોને આવાસ કેમ ના મળે. નિરાકરણ નહિ આવે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો---- Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ