નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) બાકી વેરો વસૂલવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગયું છે. ખાસ કરીને વાડી જેવા વિસ્તારોમાં લાંબા સમયથી બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શનિ-રવિ પણ કામગીરી ચાલુ

નાગરિકોની સુવિધા માટે અને વધુમાં વધુ વસૂલાત થાય તે હેતુથી કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બાકી વેરો સ્વીકારવા માટે શહેરની તમામ વોર્ડ ઓફિસો શનિવાર અને રવિવાર જેવા રજાના દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. આ નિર્ણયને કારણે નોકરીયાત વર્ગ રજાના દિવસે પણ સરળતાથી પોતાનો ટેક્સ જમા કરાવી શકશે.

વ્યાજ માફીની સ્કીમ 

કોર્પોરેશને બાકીદારોને રાહત આપવા માટે 'વ્યાજ માફી' યોજનાની જાહેરાત કરી છે, જેની અંતિમ તારીખ 31 માર્ચ રાખવામાં આવી છે. આ યોજના હેઠળબાકી વેરાના વ્યાજ પર 80% સુધીની માફી આપવામાં આવશે. વ્યવસાયિક એકમોને વ્યાજમાં 60% સુધીની રાહત મળશે.તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે 31 માર્ચ પછી સીલિંગ અને જપ્તી જેવી કડક કાર્યવાહી થઈ શકે છે, તેથી નાગરિકોએ વ્યાજ માફીનો લાભ લઈ વહેલી તકે વેરો ભરી દેવો જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદની કોર્ટોમાં લોકઅદાલતમાં 5.77 લાખ કેસનો નિકાલ કરાયો, ઇ-ચલણ કેસોમાં 50 કરોડની રકમ વસૂલાઈ