વલસાડમાં આજે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જ્યાં ઔરંગા નદી પર નિર્માણાધીન (નવો બની રહેલો) એક પુલનો મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં બ્રિજ પર કામ કરી રહેલા 4થી વધુ કામદારો દટાયા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


બ્રિજનો સ્લેબ સળિયા સાથે તૂટ્યો

મળતી માહિતી મુજબ, ઔરંગા નદી પર બની રહેલા આ નવનિર્માણ બ્રિજનો સ્લેબ (છતનો ભાગ) અચાનક લોખંડના સળિયાઓ સાથે તૂટીને નીચે પડ્યો હતો. નિર્માણ પામી રહેલા પુલનો આટલો મોટો ભાગ તૂટી પડતા બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે કેટલાક કામદારો બ્રિજના તે ભાગ પર કામ કરી રહ્યા હતા, જે તૂટી પડ્યો.

ચાર કામદારો દટાયા, હોસ્પિટલ ખસેડાયા

બ્રિજ તૂટી પડતા તેના કાટમાળ નીચે 4થી વધુ કામદારો દબાઈ ગયા હતા. તાત્કાલિક સ્થાનિક લોકો અને અન્ય કામદારોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળમાંથી દટાયેલા 4 કામદારોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત કામદારોની હાલત અંગે હાલમાં કોઈ સચોટ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની સંભાવના છે. બ્રિજ તૂટવાની જાણ થતા જ પોલીસ વિભાગ સહિતની સ્થાનિક વહીવટી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ બચાવ કામગીરી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad માં પ્રદૂષણ ફેલાવનારાઓ પર GPCB નો સકંજો, 6 ઔદ્યોગિક એકમોને 'શો કોઝ' નોટિસ, મોબાઈલ વાન દ્વારા ચેકિંગ


  • Follow us on: