વલસાડ શહેરના પાવર હાઉસની સામે આવેલા નર્મદા સાંસ્કૃતિક ભવન ખાતે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ભવનમાં જ્યારે લગ્ન પ્રસંગની ધૂમ ચાલી રહી હતી, ત્યારે અચાનક પાર્કિંગ વિસ્તારમાં આગ ફાટી નીકળતા જાનૈયાઓ અને મહેમાનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.


કોપર પાઇપના જથ્થાએ પકડી આગ

મળતી માહિતી મુજબ, ભવનના પાર્કિંગ વિસ્તારમાં એર કન્ડિશનર (AC) માં વપરાતી કોપર પાઇપની સ્લીવનો મોટો જથ્થો મુકવામાં આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર આ જથ્થામાં આગ લાગી હતી. સ્લીવ મટિરિયલ જલ્દી સળગી ઉઠતું હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખા વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.

લગ્ન હોલ ખાલી કરાવાયો

આગ લાગતા જ સાંસ્કૃતિક ભવનમાં હાજર લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. સાવચેતીના ભાગરૂપે લગ્ન પ્રસંગમાં આવેલા તમામ મહેમાનોને તાત્કાલિક હોલની બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: હોળી-ધુળેટીના તહેવાર પર ST નિગમનો એક્શન પ્લાન, અમદાવાદથી 7500 એક્સ્ટ્રા ટ્રિપ દોડાવાશે



  • Follow us on: