વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અવાવરું જગ્યાએ આવેલા એક નાળામાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળેલી અજાણી મહિલાની 'મર્ડર મિસ્ટ્રી'નો વલસાડ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચકચારી કેસમાં જે ખુલાસો થયો છે તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. મહિલા સાથે દુષ્કર્મ આચરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર બીજું કોઈ નહીં, પરંતુ તેનો પોતાનો સગો જમાઈ જ નીકળ્યો છે. પોલીસે ઉત્તર પ્રદેશના ઉનાવની વતની અને મૃતક માયાદેવી પાસવાનની હત્યાના આરોપમાં તેના જમાઈ ભોજ કુમાર પાસીની ધરપકડ કરી છે.
સાસુ સાથે જ અનૈતિક સંબંધો બંધાયા
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી ભોજ કુમાર મુંબઈના બોઈસરમાં રેલવેમાં પ્લમ્બિંગનું કામ કરતો હતો. વર્ષ 2023 માં તેના લગ્ન માયાદેવીની પુત્રી સાથે થયા હતા. લગ્ન બાદ લંપટ જમાઈના તેની સાસુ સાથે જ અનૈતિક સંબંધો બંધાયા હતા. આ વાતની જાણ થતાં પુત્રીએ ભોજથી છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ સાસુ માયાદેવી વલસાડના હરિયા ગામમાં ભાડે રહીને અતુલ નજીક એક કંપનીના બગીચામાં કામ કરતી હતી, જ્યાં પણ બંને વચ્ચે શારીરિક સંબંધો ચાલુ રહ્યા હતા.
