વલસાડ જિલ્લાના વાપીમાં થોડા દિવસો પહેલા દમણગંગા નદીમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ રહસ્યમય મોતના મામલે વાપી ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં જ સઘન તપાસ કરીને સમગ્ર ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રાથમિક તપાસમાં આ મામલો હત્યાનો નહીં, પરંતુ આત્મહત્યાનું હોવાનું અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવાનો હોવાનું સામે આવ્યું છે.
લગ્નજીવનથી કંટાળીને કરી આત્મહત્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક મહિલા વાપીની જ સ્થાનિક રહેવાસી હતી. તેના લગ્નને હજુ માત્ર ત્રણ વર્ષ જેટલો જ સમય થયો હતો, પરંતુ લગ્નજીવનના કલહ અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી.
ગભરાયેલા પતિએ મૃતદેહ નદીમાં ફેંકી દીધી
પત્નીના આત્મહત્યા બાદ કાયદાકીય કાર્યવાહી અને બદનામીના ડરથી તેનો પતિ ભારે ગભરાઈ ગયો હતો. ગભરાહટમાં આવીને પતિએ પત્નીની મૃતદેહને સગેવગે કરવાનું નક્કી કર્યું અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને વાપીની દમણગંગા નદીમાં ફેંકી દીધી હતી. જે બાદમાં પોલીસને મળી આવી હતી.
પોલીસે પતિની અટકાયત કરી
વાપી ટાઉન પોલીસે મહિલાની ઓળખ વિધિ પૂર્ણ કર્યા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઊંચક્યો છે. પોલીસે મહિલાના મોતના મામલે તેના પતિની અટકાયત કરી લીધી છે. પત્નીને આપઘાત માટે મજબૂર કરવા અને મૃતદેહને નદીમાં ફેંકી પુરાવાનો નાશ કરવા બદલ ગુનો નોંધી પોલીસે પતિની સઘન પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો - Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર, Video