બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ-થરાદ પંથકમાં આવેલા સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ધરણીધર ભગવાનના મંદિરમાં સેવા-પૂજાના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે ઢેમેચા પરિવાર દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆત અને કાનૂની નોટિસ બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરની આરતી વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
ધરણીધર મંદિરમાં સેવા-પૂજાના અધિકારને લઈને વિવાદ
ઢીમા ખાતે આવેલું ધરણીધર મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં સેવા-પૂજા કરવાના હક્ક બાબતે બે પક્ષો વચ્ચે મતભેદ સર્જાયા છે. ઢેમેચા પરિવારે દાવો કર્યો છે કે મંદિરમાં પૂજા કરવાનો તેમનો પરંપરાગત હક્ક છે. આ બાબતે તેમણે વાવ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી અને કાનૂની નોટિસનો પણ ઉલ્લેખ કર્યો હતો.










