ગુજરાતમાં સામાન્ય ચૂંટણી 2026નો માહોલ જામ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે. થરાદની જાણીતી ગણેશ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે આગામી ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સ્થાનિકોમાં વર્ષોથી વણઉકેલાયેલી પાણીના નિકાલની સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

"પહેલાં પાણીનો નિકાલ, પછી જ મતદાન"

ગણેશ સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ગંદા પાણીના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સોસાયટીમાં પાણી ભરાઈ રહેવાને કારણે ગંદકી અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ પરિસ્થિતિથી કંટાળીને રહીશોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે, જ્યાં સુધી તેમની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે નહીં.

સોસાયટીમાં લાગ્યા વિરોધના બેનરો

હાલ સોસાયટીના પ્રવેશદ્વાર અને ગલીઓમાં "ચૂંટણી બહિષ્કાર"ના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને "નિકાલ નહીં તો વોટ નહીં" ના ગગનભેદી નારા લગાવ્યા હતા. સોસાયટીના રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારોએ પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સ્થાનિકોના આ ઉગ્ર વિરોધ અને બેનરો સાથેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ચૂંટણીના ટાણે જ જનતાનો આવો આકરો મિજાજ જોઈને રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. લોકશાહીના પર્વમાં જ્યારે દરેક મત કિંમતી હોય છે, ત્યારે થરાદની આ સોસાયટીનો સામૂહિક નિર્ણય આગામી દિવસોમાં શું વળાંક લેશે તે જોવું રહ્યું.


આ પણ વાંચો - Local body election: 10005 બેઠકોની ચૂંટણી માટે 39386 ફોર્મ ભરાયા, આજથી ચકાસણી થશે