બનાસકાંઠાના સરહદી વાવ-થરાદ પંથકમાં ઉનાળાની ગરમી વચ્ચે એક ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. થરાદ તાલુકાના કરણપુરા ગામે ખેત મજૂરી અર્થે આવેલા બે શ્રમિક યુવાનોના ખેત તલાવડીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. મોડી સાંજે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને ખેત માલિકોમાં ભારે નાસભાગ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.

એકને બચાવવાના ચક્કરમાં બીજો પણ ડૂબ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, કરણપુરા ગામના સ્થાનિક ખેડૂત પટેલ જેતસીભાઈ ભલાભાઈના ખેતરમાં રાજસ્થાનથી આવેલા શ્રમિકો ખેત મજૂરી કરતા હતા. દિવસભરના સખત પરિશ્રમ બાદ મોડી સાંજે બંને યુવાનો ખેતરમાં આવેલી પાણીથી ચિક્કાર ભરેલી ખેત તલાવડીની પાળ પર નાહવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક એક યુવાનનો પગ લપસી ગયો હતો અને તે સીધો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. પોતાના સાથીદારને ડૂબતો જોઈ પાળ પર ઉભેલો બીજો યુવાન પણ તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો. પરંતુ કમનસીબે પાણી ઊંડું હોવાના કારણે બંને યુવાનો એકબીજાને બચાવવાના ચક્કરમાં પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા અને શ્વાસ રૂંધાવાથી બંનેના મોત નીપજ્યા હતા.

તંત્રનું 40 મિનિટનું રેસ્ક્યુ ઓપરેશન

આ કાળઝાળ દુર્ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ તુરંત જ સ્થાનિક આગેવાનોએ વહીવટી તંત્રને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, ૧૧૨ પોલીસ વાન અને ૧૦૮ ની ટીમ ગણતરીની મિનિટોમાં કરણપુરા ગામે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોની ટીમે અંધારું હોવા છતાં ભારે જહેમત ઉઠાવી તલાવડીમાં આશરે ૪૦ મિનિટ સુધી સઘન સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. અંતે બંને યુવાનોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક બંને યુવાનો પાડોશી રાજ્ય રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની હોવાનું ખૂલ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વતન સગા-સંબંધીઓને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: કર્ણાટકમાં 90 વર્ષના વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી 1.34 કરોડ પડાવનારો જીગ્નેશ ઉર્ફે જીગો વઘાડીયા ઝડપાયો