ગુજરાતમાં સરકારી ભરતી માટેની CCE ની નવી પરીક્ષા પદ્ધતિ સામે રાજ્યભરના ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકના સેંકડો વિદ્યાર્થીઓએ આજે એકઠા થઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને વર્તમાન પરીક્ષા પદ્ધતિમાં તાત્કાલિક ફેરફાર કરવાની માંગ કરી હતી.

નોર્મલાઈઝેશન પ્રક્રિયા મહેનતુ વિદ્યાર્થીઓ માટે અન્યાય

વિદ્યાર્થીઓનો મુખ્ય આક્ષેપ 'નોર્મલાઈઝેશન' પ્રક્રિયા સામે છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે અગાઉની પરીક્ષાઓમાં નોર્મલાઈઝેશનના કારણે ગુણમાં ૩૭ માર્ક્સ સુધીનો મોટો તફાવત જોવા મળ્યો હતો, જેના કારણે અનેક તેજસ્વી ઉમેદવારો મેરિટમાંથી બહાર ફેંકાઈ ગયા છે.

OMR પદ્ધતિથી ઓફલાઇન પરીક્ષા લેવામાં આવે

આવેદન પત્રમાં વિદ્યાર્થીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે, CBRT ને બદલે જૂની અને જાણીતી OMR પદ્ધતિથી ઓફલાઇન પરીક્ષા લેવામાં આવે. વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે, જો લોકરક્ષક દળ (પોલીસ) અને તલાટી જેવી મોટી ભરતી પરીક્ષાઓ OMR પદ્ધતિથી સફળતાપૂર્વક લેવાતી હોય, તો CCE પરીક્ષામાં આ પ્રયોગ કેમ? ગેનીબેન ઠાકોરે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હતી અને આ મુદ્દે સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.


આ પણ વાંચો---     Ahmedabad : ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનો રાફડો, નિકોલ અને ઓઢવમાં ટિકિટ વાંચ્છુકોની લાંબી લાઈન