Mehsanaની વડનગર સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળેથી બીમાર દર્દીએ પડતું મૂકીને કર્યો આપઘાત
મહેસાણા જિલ્લાના વડનગરમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં વડનગર સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળેથી એક બીમાર દર્દીએ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ હોસ્પિટલના પરિસરમાં અને સ્ટાફમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતક દર્દીનું નામ સંજય ઠાકોર હતું. તે છેલ્લા ઘણા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા.
બીમારીથી કંટાળી સંજય ઠાકોર નામના દર્દીનો આપઘાત
તેની બીમારીથી કંટાળીને તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. આ ઘટના આજે સવારે બની હતી. સંજય ઠાકોર હોસ્પિટલના છઠ્ઠા માળે ગયા હતા અને ત્યાંથી નીચે છલાંગ લગાવી હતી. તેમને તાત્કાલિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
દર્દીએ સિવિલના છઠ્ઠા માળેથી કૂદકો માર્યો
પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ દર્દીના આપઘાત અંગે હોસ્પિટલના કર્મીઓ અને મૃતકના પરિવારજનો પાસેથી પણ નિવેદનો લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાએ માનસિક સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ પ્રકારના દર્દીઓને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સહાય અને કાઉન્સેલિંગની પણ જરૂર હોય છે.