મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ચાંદીપુરા વાયરસે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. તાલુકાના દેલવાડા ગામમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયા બાદ, રોગચાળાની ચપેટમાં આવેલી 4 વર્ષની બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે. બાળકીને ગંભીર હાલતમાં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ માસૂમ બાળકીએ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

ભયાનક લક્ષણો ધરાવતો ચાંદીપુરા વાયરસ

ચાંદીપુરા વાયરસ ખાસ કરીને નાના બાળકોને ઝડપથી પોતાની ચપેટમાં લે છે. આ વાયરસના સંક્રમણ બાદ બાળકમાં તીવ્ર તાવ, ઉલટી-ઉબકા, અને મગજ પર અસર થવા જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. વડનગર સિવિલમાં ખસેડાયેલી આ બાળકીની સ્થિતિ પણ ટૂંક જ સમયમાં વધુ નાજુક બની ગઈ હતી, જેના કારણે તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ નહોતી.

બાળકીના મોત બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું

માસૂમ બાળકીના મોતની ઘટના સામે આવતાં જ જિલ્લાનું આરોગ્ય તંત્ર તાબડતોબ એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દેલવાડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ઘરે-ઘરે સર્વેક્ષણ અને સ્પ્રેઇંગ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાયરસ વધુ ન ફેલાય તે માટે ગ્રામજનોને સાવચેતી રાખવા અને બાળકોમાં સહેજ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara હિટ એન્ડ રનની ઘટના, ફતેગંજ બ્રિજ પર ખાનગી બસે એક્ટિવાને મારી ટક્કર...