મહેસાણાના ઊંઝાના ઉનાવામાંથી એક ચોંકાવનારું ભેળસેળનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્કોડ દ્વારા કરવામાં આવેલી એક ગુપ્ત અને મોટી કાર્યવાહીમાં કેમિકલ કલરવાળી અંદાજે 26 ટન વરિયાળીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 

લીલી અને આકર્ષક બતાવવા કેમિકલ કલરનો ઉપયોગ

ભેળસેળીયા તત્વોએ વરિયાળીને વધુ પડતી લીલી અને આકર્ષક બતાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરીને અખાદ્ય કલરનું આખું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. તંત્રએ આ દરોડા દરમિયાન બે ગોડાઉનને સીઝ કરીને અંદાજે 19.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Unjha Fennel Seeds Scam: 26 Tonnes of Chemical Colored Variyali Seized

વરિયાળીમાં કેમિકલ પ્રોસેસ

મળતી વિગતો અનુસાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઉનાવામાં બે અલગ-અલગ સ્થળોએ અચાનક દરોડા પાડ્યા હતા. જેમાં મે. ભાર્ગવકુમાર પટેલનું ગોડાઉન અને મે. પટેલ રાકેશકુમારની પેઢી ગેરકાયદેસર રીતે વરિયાળીમાં કેમિકલ પ્રોસેસ કરતા ઝડપાઈ ગઈ હતી. 

ફૂડ સેફ્ટીનું કોઈ કાયદેસરનું લાઈસન્સ પણ ન હતું

તપાસ દરમિયાન સૌથી મોટો ખુલાસો એ થયો હતો કે આ બંને ઝડપાયેલી પેઢીઓ પાસે ફૂડ સેફ્ટીનું કોઈ કાયદેસરનું લાઈસન્સ પણ નહોતું. તંત્રએ ઘટનાસ્થળેથી વરિયાળીનો તમામ લુઝ જથ્થો સીઝ કરીને સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે.

Unjha Fennel Seeds Scam: 26 Tonnes of Chemical Colored Variyali Seized

સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની રમત ચલાવી લેવામાં આવશે નહીં

આ ઘટના સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય અને ખોરાક નિયમન મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મિલાવટખોરો સામે લાલ આંખ કરી છે. તેમણે આ બાબતને ગંભીરતાથી લેતા કાયદેસરની કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, "રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની રમત ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં આવી મિલાવટખોરી રોકવા માટે સમગ્ર રાજ્યમાં ચેકિંગ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે." આ કાર્યવાહીથી મસાલાના વેપારીઓ અને મિલાવટખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.  


આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં