અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તિ રહેલા અસહ્ય બફારા અને ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ધારી ગીર વિસ્તારના ત્રંબકપુર, હીરાવા અને પાતળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ ત્રણેય ગામોમાં સારો એવો વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.


ત્રબકપુર, હીરાવા, પાતળામાં વરસાદ

લાંબા સમયથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદને કારણે ઠંડકનો અહેસાસ થયો હતો. વરસાદના આગમનથી વાતાવરણમાં પ્રસરેલી ઠંડકે લોકોમાં ખુશીનો માહોલ પેદા કર્યો છે. અસહ્ય બફારા બાદ વરસાદ પડતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

અસહ્ય બફારા બાદ વરસાદથી ઠંડક પ્રસરી

જોકે આ સમયે પડેલો વરસાદ ખેતી માટે કેટલો ફાયદાકારક કે નુકસાનકારક સાબિત થશે. તે અંગે ખેડૂતોમાં ચર્ચા ચાલી રહી છે. ગીરના જંગલ વિસ્તારમાં વરસાદ પડવાથી જંગલી પ્રાણીઓ અને વન્યજીવોને પણ ગરમીથી રાહત મળી છે. વન વિસ્તારની આસપાસના ગામોમાં વરસાદને કારણે વાતાવરણમાં ખુશનુમા અને રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: