ગુજરાતમાં ચાલુ વર્ષે બનાસકાંઠામાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. સારો વરસાદ થયો હોવા છતાં જિલ્લાના સીપુ ડેમમાં પાણીની જોઈએ તેવી આવક નહીં થતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.ઉપરવાસમાં ચોમાસાનો સારો એવો વરસાદ થવા છતાં સીપુ ડેમમાં અત્યાર સુધીમાં માત્ર 11 ટકા જેટલા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. જોકે વર્ષ 2017 ના ચોમાસા બાદ સીપુ ડેમ હંમેશા તળિયા જાટક રહ્યો છે અને આ વર્ષે પણ સીપુ ડેમમાં પાણીની આવક ન થતા વિસ્તારના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.


2017 બાદ સીપુ ડેમ ખાલી ખમ રહ્યો છે

ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે.આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં તો કેનાલો આવવાથી ખેડૂતોની ખેતી સરળ બની છે.પરંતુ પૂર્વ વિસ્તારમાં કેનાલો ન હોવાને કારણે ખેડૂતો ડેમના પાણી આધારિત ખેતી કરતા હોય છે.બનાસકાંઠા જિલ્લામાં જીવા દોરી સમાન સીપુ ડેમ આવેલો છે જેમાં રાજસ્થાનનું વરસાદી પાણી આવે છે અને આ પાણી પાંથાવાડા સહિત ધાનેરા વિસ્તારના ખેડૂતોને સિંચાઈ તેમજ પીવા માટે અપાય છે.વર્ષ 2017માં ભારે વરસાદને પગલે સીપુ ડેમ જળબંબાકાર થયો હતો પરંતુ વર્ષ 2017 બાદ જાણે સીપુ ડેમ પર ગ્રહણ બેઠું હોય તેમ સીપુ ડેમમાં પાણીની આવક જ થઈ ન શકી.

અત્યાર સુધીમાં જળ સપાટી માત્ર 176.95 મીટરે પહોંચી

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં બનાસકાંઠા તેમજ ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં પાંથાવાડા અને ધાનેરા વિસ્તારના ખેડૂતોની આશા જાગી હતી કે આ વર્ષે સીપુ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થશે અને તેઓ ખેતી કરી શકશે. ચોમાસામાં બનાસકાંઠા સહિત ઉપરવાસમાં વરસાદ તો સારો થયો પરંતુ સીપુ ડેમમાં પાણીની આવક નહિવત પ્રમાણમાં થઈ છે. ચોમાસુ વીતી રહ્યું છે અને તે વચ્ચે સીપુ ડેમમાં અત્યાર સુધીમાં જળ સપાટી માત્ર 176.95 મીટરે પહોંચી છે. ડેમની કુલ જળ સપાટી મુજબ ડેમમાં માત્ર 11 ટકા જેટલું જ પાણી આવ્યું છે.

ખેતી કરતા ખેડૂતોને રઝળવાનો વારો આવી રહ્યો છે

ઉપરવાસમાં વરસાદ તો સારો થઈ ગયો પરંતુ સીપુ ડેમના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયમાં ડેમો વધી જતા રાજસ્થાનનું વરસાદી પાણી સીપુ સુધી પહોંચી શક્યું નથી અને તેને જ કારણે સીપુ ડેમ આધારીત ખેતી કરતા ખેડૂતોને રઝળવાનો વારો આવી રહ્યો છે.છેલ્લા કેટલાય વર્ષોથી સિંચાઇના પાણી માટે રઝળપાટ કરી રહેલા આ ખેડૂતો હવે સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા દાંતીવાડા ડેમમાંથી કેનાલ અથવા પાઇપલાઇન દ્વારા સીપુ ડેમમાં પાણી લાવવામાં આવે અને તે પાણી ખેડૂતોને સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે તો જ ખેડૂતો બચી શકશે.


  • Follow us on: