બનાસકાંઠા જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને કારણે વ્યાપક નુકસાનીનો ચિતાર સામે આવ્યો છે. જિલ્લાના કુલ 296 ગામો અતિવૃષ્ટિથી પ્રભાવિત થયા છે, જેમાં ખાસ કરીને સૂઈગામ, વાવ, ભાભર અને થરાદ જેવા તાલુકાઓમાં સૌથી વધુ અસર જોવા મળી છે. આશરે 3416 ચોરસ કિલોમીટર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. અનેક ગામોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. હાલમાં પણ 32 ગામોમાં વીજળી નથી અને 127 ગામોમાં પાણીનો પુરવઠો બંધ છે. આ પરિસ્થિતિમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સીએમની પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને રાહત કામગીરી
આ ગંભીર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યના CM એ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે થરાદના નાગલા અને ખાનપૂર ગામના લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. થરાદના દૂધશીત કેન્દ્ર ખાતે તેમણે શહેરી અને તાલુકાના લોકો સાથે બેઠક યોજીને તેમની સમસ્યાઓ સાંભળી હતી. CM એ પૂરપીડિતોને આશ્વાસન આપતા જણાવ્યું કે, સરકાર દ્વારા ઝડપથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. તેમણે પૂરના પાણીના કાયમી નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવાની પણ ખાતરી આપી હતી, જેથી ભવિષ્યમાં આવા બનાવોથી બચી શકાય.













