ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. ગઈકાલે શરૂ થયેલા વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત અમદાવાદમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેના ઈમર્જન્સી કંટ્રોલરૂમમાં પહોંચીને રાજ્યમાં વ્યાપક વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી.


જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહેવા સૂચના

મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી ,અમદાવાદ ,મહેસાણા ,બનાસકાંઠા સાબરકાંઠા ,અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્ર ને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી હતી.

રાજ્યમાં ભારે વરસાદથી વીજ પુરવઠાને અસર

રાજ્યમાં વરસાદને કારણે વીજ પુરવઠાને અસર પહોંચી છે. 22 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી 51 રસ્તા વરસાદના કારણે બંધ કરાયા છે. જ્યારે 1 સ્ટેટ હાઈવે અને 47 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરાયા છે. રાજ્યના 49 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. જ્યારે 21 જળાશયોને એલર્ટ પર રખાયા છે અને 21 જળાશયો વોર્નિંગ પર રખાયા છે.


  • Follow us on: