જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના પગલે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ધીમી ધારે વરસેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં માઠા સમાચાર ફેલાયા છે. કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. તાલુકાના રામવાવ પાટી પાસેના વિસ્તારો જેમાં જુથળ, ગળોદર, માળીયા હાટીના, ભડુરી, પ્રાણીધરા અને આસપાસના ગીર પંથકના ગામોનો સમાવેશ થાય છે.


જુથળ, ગળોદર, માળીયા હાટીનામાં વરસાદ

ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અચાનક વાતાવરણ પલટાતા વાદળછાયું થયું હતું અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી. આ વરસાદ હાલમાં ખેડૂતો માટે ચિંતાનું મુખ્ય કારણ બન્યો છે. કારણ કે આ સમયે ખેતરોમાં મગફળી, કપાસ અને સોયાબીન જેવા મુખ્ય પાકો તૈયાર થઈ ગયા છે અથવા લણણીના આરે છે. કમોસમી વરસાદને કારણે લણણી કરેલો પાક પલળી જાય તો તેમાં મોટું નુકસાન થઈ શકે છે.

મગફળી, કપાસ, સોયાબીનમાં નુકસાનની ભીતિ

પાક પલળવાથી તેની ગુણવત્તા બગડે છે અને માર્કેટમાં યોગ્ય ભાવ મળતો નથી જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે. ખેડૂતો દ્વારા હવામાન વિભાગના અધિકારીઓ અને સરકાર સમક્ષ આ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવા અને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


  • Follow us on: