મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. જિલ્લામાં ખેતરોમાં કપાસનો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રોહીશાળા અને અણીયારીમાં ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. શહેરમાં બે ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. શહેરના લાટી પ્લોટ, આલાપ રોડ, નહેરુ ગેટ અને કન્યા છાત્રાલય રોડ પર પાણી ભરાઈ ગયા હતાં. પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


બ્રાહ્મણી ડેમ-1 પણ સો ટકા ભરાઈ ગયો

મોરબીમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મચ્છુ નદીમાં પાણીની આવક થઈ હતી. જેથી મચ્છુ-3 ડેમનો એક દરવાજો 3 ઈંચ જેટલો ખોલવામાં આવ્યો હતો. ડેમમાંથી નદીમાં 209 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘોડાધ્રોઈ ડેમનો દરવાજો એક ઈંચ ખોલવામાં આવ્યો હતો. જેમાંથી 100 ક્યુસેક પાણી છોડાયું હતું. બ્રાહ્મણી ડેમ-1 પણ સો ટકા ભરાઈ ગયો હતો.

મોરબીમાં વરસાદને કારણે નદી નાળા છલકાયા

ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મચ્છુ 3 ડેમ 67.84, બ્રાહ્મણી 2 ડેમ 43.58, બંગાવડી ડેમ 9.26, ડેમી 2 ડેમ 29.42, મચ્છુ 1 ડેમ 63.83 અને મચ્છુ 2 ડેમમાં 37.75 ટકા પાણીની આવક થવા પામી છે. મોરબીમાં વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.


  • Follow us on: