મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર અને રાયસંગપર ગામને જોડતા રસ્તા ઉપર બ્રિજ બનાવવાની વાતો વર્ષોથી કરવામાં આવે છે, પરંતુ બ્રિજ બનાવવામાં આવતો નથી. જેથી કરીને રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા આજે મયુરનગર અને રાયસંગપર વચ્ચે જે જગ્યાએ બ્રિજ બનાવવાનો છે તે રસ્તા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને સરકારને સદબુધ્ધિ માટે રામધૂન પણ બોલાવવામાં આવી હતી. આ દરમ્યાન હળવદ પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને રસ્તો ચક્કાજામ કરનારા 10 આગેવાનોની અટકાયત કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે
સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે થઈને લાખો નહીં, કરોડો રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા અને બ્રિજ બનાવવા માટે થઈને આપવામાં આવતી હોય છે. પરંતુ અધિકારીઓની બેદરકારી કે પછી અન્ય કારણોસર સમયસર રોડ, રસ્તા અને બ્રિજ બનતા નથી. જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આવો જ ઘાટ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુર નગર અને રાયસંગપર ગામ વચ્ચેના રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે. મયુરનગર ગામના લોકોના કહેવા પ્રમાણે ચોમાસા દરમિયાન બ્રાહ્મણી ડેમોમાંથી જે પાણી નદીમાં આવતું હોય છે, તેના કારણે મયુરનગર અને રાયસંગપર વચ્ચેનો રસ્તો બંધ થઈ જાય છે અને ત્યાં અવરજવર થઈ શકતી નથી, જેથી કરીને લોકોને પોતાના કામકાજ માટે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લગભગ 20 કિલોમીટર જેટલું ફરવા જવું પડે છે. જેથી કરીને છેલ્લા ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર બ્રિજ બનાવવામાં આવે તેવી માગ કરવા આવી રહી છે. પરંતુ જ્યારે જ્યારે ગામના લોકો દ્વારા બ્રિજ બનાવવાની માગ કરવામાં આવી છે, ત્યારે કામ મંજૂર થઈ ગયું છે તેવી વાતો કરવામાં આવી છે. પરંતુ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેથી કરીને ગ્રામજનોમાં ભારે આક્રોશ છે.
વહેલામાં વહેલી તકે આ બ્રિજ બનાવવામાં આવે તેવી માગ
આજે મયુર નગર ગામના લોકો દ્વારા મયુર નગરથી રાયસંગપર તરફ જવાના રસ્તા ઉપર જે જગ્યાએ બ્રિજ બનાવવા માટેની છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી રહી છે, ત્યાં રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તે અંગેની જાણ થતા ડીવાયએસપી સમીર સારડા, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રસ્તો ચક્કાજામ કરનારા લોકોમાંથી દસેક જેટલા આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા. હાલમાં જે રીતે બ્રિજ મંજૂર થઈ ગયો છે તેની વાતો કરવામાં આવે છે. તેવી આજકાલથી નહીં પરંતુ છેલ્લા આઠ વર્ષથી વાતો કરવામાં આવે છે. જોકે આઠ વર્ષથી ગામના લોકો હેરાન છે, તેની જાણ અહીંના અધિકારીઓ અને રાજકારણીઓને હોવા છતાં પણ મયુરનગર અને રાયસંગપર વચ્ચેનો રસ્તો બંધ ન થાય તે માટે થઈને વહેલામાં વહેલી તકે આ બ્રિજ બનાવવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. જોકે વાસ્તવિક રીતે ત્યાં સ્થળ ઉપર બ્રિજ ક્યારે બનશે તે તો આગામી સમય જ બતાવશે.