ચોમાસાની સિઝનમાં બીજી વખત સરદાર સરોવર નર્મદા ડેમના 5 ગેટ ફરી એક વાર ખોલવામાં આવ્યા છે અને 95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે.
ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર
ગઈકાલે ઓમકારેશ્વર ડેમમાંથી 11 દરવાજા ખોલી 2 લાખ કયસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને પગલે આ સિઝનમાં આજે બીજી વખત નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ગત 31 જુલાઈએ 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આજે 28 ઓગસ્ટના રોજ ફરી 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને આજે સવારે 8 કલાકથી નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. હાલની નર્મદા ડેમની સપાટી 136.16 મીટર પર છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 150 સેન્ટીમીટરનો વધારો થયો
હવે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવામાં બે મીટર બાકી છે. નર્મદા ડેમ આજે 91.66% ભરાયો છે અને આજે કુલ 95,000 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે. ડેમનો ગ્રોસ સ્ટોરેજ 9,460 મિલિયન ઘન મીટર છે. હાલ ડેમ એલર્ટ મોડ પર કહી શકાય જેને કારણે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ પાણીની આવક 89,541 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 150 સેન્ટીમીટરનો વધારો થયો છે.