રાજ્યના ૮૨ ડેમ ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૬૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૯ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે, ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૯૨.૬૪ ટકા વરસાદ નોંધાયો છે.


સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૮૯ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે

જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં ૯૬.૯૪ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ૯૬.૯૧ ટકા, પૂર્વ-મધ્યમાં ૯૩.૭૯ ટકા, કચ્છમાં ૮૫.૧૪ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૮૪.૭૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે. વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૧૩ ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં ૮૨ ડેમ ૧૦૦ ટકા, ૬૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૪ ડેમ ૫૦ થી ૭૦ ટકા વચ્ચે જ્યારે ૧૭ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૮૯ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૪ જિલ્લાના ૧૫૮ તાલુકામાં સરેરાશ ૧૨ મી.મીથી વધુ વરસાદ વરસ્યો છે

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા તા. ૦૧ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ કુલ ૯૬.૨૯ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨૦ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં ૦૮ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૪ જિલ્લાના ૧૫૮ તાલુકામાં સરેરાશ ૧૨ મી.મીથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતના માછીમારોને તા. ૦૪ થી ૦૭ સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા પણ IMD દ્વારા જણાવાયું છે.


  • Follow us on: