અમદાવાદમાં વરસાદને વિરામ મળ્યા બાદ પણ શહેરના અનેક રસ્તાઓની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. ખાસ કરીને કાંકરિયા વિસ્તાર પાસે લગભગ 12 દિવસ પહેલા બેસી ગયેલા રોડનું સમારકામ હજુ સુધી પૂર્ણ ન થતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ સ્થિતિ મુશ્કેલીરૂપ બની

રોડનો મોટો ભાગ બેસી જતાં તંત્રએ સુરક્ષાના કારણોસર એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. જેના કારણે વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને વાહનચાલકોને લાંબા ચક્કર મારીને પસાર થવાની ફરજ પડી રહી છે. રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ સ્થિતિ મુશ્કેલીરૂપ બની છે. માહિતી મુજબ રોડ નીચેનું નાળું બેસી જતાં સમારકામ માટે RCC ભરીને મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી કામ પૂર્ણ થવામાં હજુ વધુ સમય લાગી શકે છે. સતત વિલંબને કારણે સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

સ્થાનિકોએ તંત્રને કામમાં ઝડપ લાવવાની માગ કરી

શહેરમાં વરસાદી મોસમ દરમિયાન રસ્તાઓની જાળવણી અને સમયસર સમારકામ અંગે વારંવાર પ્રશ્નો ઊભા થાય છે. શહેરીજનોનું કહેવું છે કે વરસાદ બંધ થયા પછી પણ જો મુખ્ય માર્ગો ઝડપથી કાર્યરત ન થાય તો રોજિંદા જીવન અને ટ્રાફિક વ્યવસ્થા બંને પર તેની સીધી અસર પડે છે. સ્થાનિકોએ તંત્રને કામમાં ઝડપ લાવવાની માગ કરી છે. સાથે જ સવાલ ઉઠાવ્યો છે કે અધૂરા સમારકામ વચ્ચે જો કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? શહેરીજનો ઈચ્છે છે કે તંત્ર વહેલી તકે કામગીરી પૂર્ણ કરીને માર્ગને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકે.

આ પણ વાંચો : Gandhinagar News: સ્થાનિક ચૂંટણીમાં ચૂંટાયેલા 168 ઉમેદવારોએ ખર્ચનો હિસાબ નહીં આપતા ફરિયાદ