રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં વેલમાર્ક લો પ્રેશર સહિત વરસાદ લાવતી 5 સિસ્ટમ સક્રિય હોવાથી મોરબી, કચ્છ, જામનગર, પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે, જ્યારે સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ રહેશે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 

સવારે 6થી 12 સુધી 112 તાલુકામાં વરસાદ

ચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 53 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતાં સાત ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, તેમ છતાં આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીના છ કલાક દરમિયાન 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ 1.5 ઈંચ અને કચ્છના મુન્દ્રામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અન્ય 110 તાલુકાઓમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, સુરત અને વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ ધીમીધારે હળવા વરસાદી છાંટા પડ્યા હતા.

માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

રાજ્યમાં આજથી સામાન્યથી હળવા વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેવાની અપેક્ષા છે. આ સિવાય આજે રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabadના શાહપુરમાંથી ઝડપાયું નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું; 4 આરોપીઓની ધરપકડ