અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા આર.એમ.એસ. (RMS) તળાવ પાસે ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે. તળાવ નજીકથી પસાર થતી ડ્રેનેજ લાઇન લાંબા સમયથી લીકેજ હોવાના કારણે અંદરને અંદર જમીનનું ધોવાણ થઈ રહ્યું હતું. આ ગંભીર લીકેજના પરિણામે જમીન અચાનક ધસી પડી હતી, જેના લીધે તળાવની પ્રોટેક્શન વોલ (સુરક્ષા દીવાલ) મોટા ધડાકા સાથે તૂટી પડી હતી.

મોર્નિંગ વોક-વે બેસી જતા મનપાએ બેરિકેટિંગ કર્યું

પ્રોટેક્શન વોલ તૂટવાની સાથે જ તળાવની આસપાસ સ્થાનિક રહીશો માટે બનાવાયેલો મોર્નિંગ વોક-વે પણ ઊંડાણમાં બેસી ગયો છે. સદ્નસીબે આ દુર્ઘટના સમયે વોક-વે પર લોકોની અવરજવર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સુરક્ષાના ભાગરૂપે તળાવ આસપાસના સમગ્ર જોખમી વિસ્તારમાં બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે.

https://www.instagram.com/reel/DbcduibDwVS/?igsh=OG9xc3U3MG9hcm5y

સ્થાનિકોની તાત્કાલિક સમારકામ અને મેન્ટેનન્સની માગ

આ બનાવને પગલે આસપાસના સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન તળાવની આસપાસ વધુ જમીન ન ધસે તે માટે સ્થાનિકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે તૂટી ગયેલી દીવાલનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તળાવ અને ડ્રેનેજ લાઇનનું યોગ્ય રીતે નિયમિત મેન્ટેનન્સ થાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat News : વરસાદી સંકટ વચ્ચે વહીવટી તંત્રની અપીલ, નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ