અમદાવાદમાં સવારથી જ શરૂ થયેલા મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર,AEC ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, શાસ્ત્રીનગર અને થલતેજ અને ચાંદલોડિયા જેવા મુખ્ય માર્ગો તેમજ વિસ્તારો જળમગ્ન બન્યા છે. માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક સ્થળે વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા. સોસાયટીઓ અને રસ્તાઓ જળમગ્ન થઈ જતાં લોકોનો તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો.

ચાંદલોડિયામાં લોકોનો તંત્ર સામે ગુસ્સો ફૂટ્યો
અમદાવાદના ચાંદલોડિયામાં રોડ અને રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત સોસાયટીઓમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતાં. જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતાં લોકોનો ગુસ્સો ફૂટ્યો હતો. તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. સાંજના સમયે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં. લોકોએ કહ્યું હતું કે, ચૂંટણી સમયે મત લેવા માટે અનેક લોકો આવે છે પણ આવી સ્થિતિમાં કોઈ જોવા પણ આવતુ નથી.

ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ વરસ્યો
અમદાવાદમાં પડેલા ભારે વરસાદ અંગે AMC કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, શહેરમાં માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને SG હાઇવે, જોધપુર, વેજલપુર અને સૌથી વધુ સરખેજ તથા બોપલ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. કમિશનરે સ્પષ્ટ કર્યું કે AMC સ્થિતિ પ્રત્યે સંપૂર્ણ સજ્જ છે અને ગયા વર્ષની સરખામણીએ આ વખતે ઓછી જગ્યાઓએ પાણી ભરાયા છે. છતાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તમામ અધિકારીઓ ફિલ્ડમાં તૈનાત છે. કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સાઉથ-વેસ્ટ અને નોર્થ-વેસ્ટ ઝોનમાં એક-એક વધારાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) ની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી બે દિવસ પણ ભારે વરસાદની આગાહી હોવાથી સાવચેતીના ભાગરૂપે તમામ શાળા-કોલેજો બંધ રાખવા સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat News : શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, પાણી ભરાયેલા વિસ્તારોમાં ડાયવર્ઝન અપાયુ