ગુજરાતમાંથી ચોમાસું નબળું પડ્યાની ચિંતા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ અને લો પ્રેશર સક્રિય થવાને કારણે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હાલ રાજ્યમાં 19 ટકા જેટલી વરસાદી ઘટ નોંધાઈ છે
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ
હવામાન વિભાગની વિગતવાર આગાહી મુજબ,મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદી માહોલ જામશે.તારીખ 12 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.તારીખ 13 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના પંથકમાં મેઘરાજા મહેરબાન રહેશે.અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડવાની ખાસ આગાહી કરવામાં આવી છે.
13 તારીખે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ ઉપરાંત આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. માત્ર મુખ્ય ભૂમિ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના પંથકમાં પણ બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.
14 સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના
14 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.દરિયાકાંઠે સર્જાનારી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : પ્રસિદ્ધ સિંગર કિંજલ રબારીના પતિને હાઇકોર્ટમાંથી મોટી રાહત, અપહરણનો અસ્વીકાર કરતાં ધરપકડ પર સ્ટે