રાજ્યમાં આગામી બે દિવસ હવામાન વિભાગ દ્વારા પવન અને ગાજવીજ સાથે સારો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. વાવાઝોડા સાથે વરસી રહેલા આ વરસાદ દરમિયાન 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાને કારણે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે આ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે જો કે હજુ પણ રાજ્યમાં 9 ટકા જેટલી વરસાદી ઘટ નોંધાયેલી છે.

કચ્છના માંડવી તાલુકામાં 177 મીમી નોંધાયો

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે.આ સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 110 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વધુ વરસાદ કચ્છના માંડવી તાલુકામાં 177 મીમી નોંધાયો છે. પ્રાદેશિક વિતરણ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાત પ્રદેશમાં સરેરાશ 112.46% સાથે સૌથી વધુ વરસાદ થયો છે. જ્યારે કચ્છ રીજીયનમાં 24 કલાકમાં 39.20 મીમીની એવરેજ સાથે સારો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 770.16 મીમી વરસાદ થઈ ચૂક્યો છે જે તેના વાર્ષિક સરેરાશના 84.74 % જેટલો થાય છે.

42 તાલુકાઓમાં હજુ 50થી લઈને 95 ટકા સુધીની ઘટ

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટને લીધે ચોમાસુ પાક મોટો નુકસાન જવાની ભીતિ વર્તાઈ રહી છે. ખેડૂતોના કહેવા મુજબ ચાલુ વર્ષે વાવેતરેલી વરસાદની અછતના કારણે ઘાસચારાની પણ મોટી તંગી સર્જાશે. જોકે છેલ્લા ત્રણ દિવસમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના લીધે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ એમાંય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ જ વરસ્યો હતો. સામાન્ય રીતે સરેરાશ વરસાદ 80 ટકાને વટાવી જાય તો મોટાભાગે ચોમાસુ પાક માટે પૂરતો ગણવામાં આવે છે.આ વખતે અત્યાર સુધીમાં વરસાદ 84.38 ટકા થઈ ગયો છે, તેમ છતાં 42 તાલુકાઓમાં હજુ 50થી લઈને 95 ટકા સુધીની ઘટ છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: ખાનગી સંસ્થાઓ દ્વારા સરકારી નામો કે પ્રતિકોનો ઉપયોગ થશે તો કરાશે કાર્યવાહી