ગુજરાતમાં જુલાઈના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે મોટું નુકસાન પણ સામે આવ્યું હતું. પરંતુ થોડા દિવસોથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેમ રાજ્યમાં મેઘમહેર થવાની બંધ થઈ ગઈ છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અલનીનોની સ્થિતિને કારણે હાલમાં વરસાદ બંધ રહ્યો છે.પરંતુ ઓગસ્ટના અંતમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ આવશે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના
હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા છતાં, હાલ મુસળધાર કે ભારે વરસાદની શક્યતા નહિવત છે અને મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક સામાન્ય વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિત મધ્ય, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. પવનની ગતિ 30 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે, તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાને કારણે લોકોને બફારા અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.
