અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદે જ વહીવટી તંત્રના ચોમાસા પૂર્વેના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના મકરબા અંડરપાસમાં વરસાદી પાણીને બદલે ગટરના પાણી ઉભરાઈને ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે, અંડરપાસમાં ડ્રેનેજના દૂષિત પાણી ભરાયેલા હોવા છતાં તેને બંધ કરવાને બદલે તંત્ર દ્વારા તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાણીના યોગ્ય નિકાલના અભાવે આ અંડરપાસ હાલ વાહનચાલકો માટે અત્યંત જોખમી બની ગયો છે. 

અંડરપાસને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસેલા વરસાદને પગલે જનજીવન પર તેની અસર જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી સ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અખબારનગર અંડરપાસને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

શહેરમાં મોડી રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં ખાસ કરીને વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું.શહેરના અન્ય વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરાવાના સમાચાર મળી રહ્યા છે, જેનાથી વાહન વ્યવહાર પર થોડી અસર પડી છે.

આ પણ વાંચોઃ Amreli Rain: અમરેલી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ, ખાંભામાં 8 અને રાજુલામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો