ધોલેરા તાલુકાના વણિતળાવ ગામમાં પૂરની સ્થિતિ સર્જાતા ભારે હાલાકી ઉભી થઈ છે. ભોગાવો નદીમાં આવેલા ભારે પૂરના પાણી ગામમાં ફરી વળતાં સમગ્ર વણિતળાવ ટાપુમાં ફેરવાઈ ગયું છે. ચારેબાજુ પાણી ફરી વળવાના કારણે ગામનો સંપર્ક અન્ય વિસ્તારોથી તદ્દન કપાઈ ગયો છે, જેના પગલે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
88 લોકોનું સલામત સ્થળાંતર
સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પૂરના પાણીમાં ફસાયેલા કુલ 88 લોકોને તંત્ર અને રેસ્ક્યુ ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ લોકોને પીપળી ગામની પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલા આશ્રયસ્થાન ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે.
