અમદાવાદમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદથી રોડ અને રસ્તાને નુકસાન થયું છે. ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે મહાનગર પાલિકા દ્વારા વરસાદની આગાહી માટે એક સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. આ C DAC સિસ્ટમ દ્વારા શહેરમાં આજે ક્યાં વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવી છે. 

સાંજે અને રાત્રે આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે

અમદાવાદ શહેરમાં C DAC સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે સાંજે 4 વાગ્યે રાણીપ અને નિકોલમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે ઓઢવ અને વસ્ત્રાલ સહિત રાત્રે આઠ વાગ્યા બાદ થલતેજ, બોડકદેવ, જોધપુર અને સરખેજમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. શહેરમાં પહેલા જ વરસાદમાં તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના વંદે માતરમ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને રસ્તાની ગુણવત્તાના અભાવે મુખ્ય માર્ગ જ બેસી ગયો છે. ગોતા વિસ્તારમાં રોડ ધોવાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. NFD સર્કલ પાસે પણ પરિસ્થિતિ ગંભીર જોવા મળી છે, જ્યાં રસ્તો બેસી જતાં એક ગાડી તેમાં ફસાઈ ગઈ હતી. રસ્તાની બાજુમાં આવેલી ડ્રેનેજ લાઇન બેસી જવાથી સ્થિતિ વધુ વણસી છે.

શહેરમાં ત્રણ અંડરપાસ રાત્રે બંધ કરાયા હતાં

AMCના ઇન્ચાર્જ સિટી ઇજનેર ઋષિભાઈ પંડ્યાએ કહ્યું હતું કે, વરસાદી પાણીનો રાત્રે ત્વરીત નિકાલ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ અંડર પાસમાં 1 ફુટ થી વધુ પાણી હોય તો અંડરપાસ બંધ કરીએ છીએ.મકરબા, મીઠાખળી અને અખબારનગર અંડરપાસ રાત્રે બંધ કર્યા હતા.અત્યારે બધા અંડરપાસ ચાલુ છે.રાત્રે ઝાડ પડવાની 3 ફરિયાદ હતી. પાણી ભરાવવાની મોટી કોઈ ઘટના નથી.કંટ્રોલ રૂમ મા પાણી ભરાવાની કોઈ ફરિયાદ નથી. જયાં પાણી ભરાયા છે ત્યાંથી પાણીને કાઢવાની કામગીરી ચાલુ છે.  


આ પણ વાંચોઃ Surat: ઉમરપાડાનો જગવિખ્યાત દેવઘાત ધોધ ચાલુ સીઝનમાં પહેલીવાર સોળે કળાએ ખીલ્યો