ગુજરાતમાં બે દિવસ વરસાદ થયા બાદ ચોમાસુ નબળુ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ગરમી અને બફારાને કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. રાજ્યમાં આગામી સપ્તાહમાં ઓછા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે હાલમાં રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે. રાત્રે આઠ વાગ્યા સુધી રાજ્યના ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં 20 ટકાથી વધારે વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. અલનીનોની અસરને કારણે ગુજરાતમાં ઓછા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. ભેજનું પ્રમાણ વધતાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણ જિલ્લામાં રાત્રે આઠ વાગ્યા સુધી છુટો છવાયો વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. 40 કિ.મીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
