ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જામેલા ચોમાસાના માહોલ વચ્ચે હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે અને વરસાદનું જોર ઘટ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,રાજ્ય પરથી વરસાદી ટ્રફ પસાર થઈ જવાના કારણે આગામી દિવસોમાં માત્ર સામાન્ય અને છૂટોછવાયો વરસાદ જ જોવા મળશે.ભારે વરસાદની સંભાવના ન હોવાથી હવે આગામી બે દિવસ દરમિયાન લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાની અસર સહન કરવી પડશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે.પરંતુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર નબળું પડતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે.
આજે આ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ,દાદરા અને નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.
