ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે.જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર કરી છે.વરસાદને કારણે કચ્છના અંજારમાં રેકોર્ડબ્રેક 7.24 ઇંચ અને ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ પાણી વરસી ગયું છે.જ્યારે માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં માંડવીમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો.સમગ્ર રાજ્યમાં વ્યાપક બનેલા આ મેઘસવારીના માહોલને લીધે કુલ 14 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ અને 26 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ આજે સવારથી જ રાજ્યના 42 તાલુકાઓમાં મેઘાવી માહોલ યથાવત રહ્યો છે.

કુલ 7 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું

ભારેથી અતિભારે વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા કચ્છ,દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ સહિત કુલ 7 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, સંભવિત ખતરાને પહોંચી વળવા માટે વહીવટી અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે, જ્યારે રાજકોટ, મોરબી અને અમરેલી જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે જેથી નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાઓ આસપાસ સાવચેતીના પગલાં ભરી શકાય.

રાજ્યમાં અત્યાર સુધીમાં 84.38 % વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધીમાં 84.38 % વરસાદ નોંધાયો છે. પ્રદેશવાર સ્થિતિ જોતાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 112.32%,પૂર્વ મધ્ય ગુજરાતમાં 84.97% કચ્છ પ્રદેશમાં 48.62%, ઉત્તર ગુજરાતમાં 63.29% અને સૌરાષ્ટ્રમાં 65.14% વરસાદ થયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ યથાવત રહેશે.આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરુઆત થશે.

આ પણ વાંચોઃ Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી