અંબાજી અને દાંતા વચ્ચેના પહાડી માર્ગ પર અચાનક ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં પડી રહેલા અવિરત અને ભારે વરસાદને કારણે પહાડની માટી અને પથ્થરો નબળા પડ્યા હતા, જેને પગલે માર્ગ પર ભેખડોનો મોટો હિસ્સો નીચે ધસી આવ્યો હતો.

મોટા પથ્થરો રસ્તા પર આવતા મુસાફરો હેરાન

ભેખડો ધસી પડવાને કારણે માર્ગની વચોવચ મોટા-મોટા પથ્થરો અને માટીનો કાટમાળ પથરાઈ ગયો છે. આના લીધે અંબાજી તરફ જતા અને આવતા અનેક વાહનો અટવાઈ પડ્યા છે અને વાહનવ્યવહાર ખોરવાયો છે. રસ્તો બ્લોક થઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તંત્ર દોડતું થયું

પહાડ પરથી હજુ પણ પથ્થરો પડવાનીની ભીતિ હોવાથી માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અને મુસાફરોમાં ભારે ડરનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને માર્ગ-મકાન વિભાગે રસ્તો ખુલ્લો કરાવવા માટે જેસીબી સહિતની મશીનરી સાથે કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : વલસાડમાં પૂરની સ્થિતિ પર ગ્રાઉન્ડ ઝીરોથી નજર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી