ભાવનગર જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે નદી-નાળાં બે કાંઠે વહેતાં થયાં છે. આ દરમિયાન તળાજી નદીમાં પાણીનો ભયાનક ધસમસતો પ્રવાહ આવતાં એક મોટી ઘટના સામે આવી છે. નદીના તીવ્ર પ્રવાહના કારણે ત્યાં બની રહેલા નવા બ્રિજના બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલા લોખંડના સપોર્ટિંગ સ્ટ્રક્ચર અને મટીરીયલ તણાઈ ગયાં હતાં.
નવા બની રહેલા બ્રિજના બાંધકામ દરમિયાન બની ઘટના
મળતી માહિતી મુજબ, તળાજી નદી પર નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વરસાદી હવામાનને પગલે બ્રિજનું કામકાજ અગાઉથી જ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં લોખંડના ભારેખમ સપોર્ટિંગ મટીરીયલ પાણીના ભારે પ્રવાહ સામે ટકી શક્યા નહોતા અને વહી ગયા હતા.
