ગુજરાતના દક્ષિણ ભાગમાં પડેલા ભારે વરસાદે સુરત અને વલસાડમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે.સુરતના સરથાણા અને પાંડેસરા જેવા વિસ્તારોમાં ખાડીના પૂરના પાણી ફરી વળતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે.ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં સીમાડા વિસ્તાર પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયેલો જોવા મળે છે. જ્યારે સણીયા હેમાદ ગામમાં દર વર્ષની જેમ આ વખતે પણ પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.ઠેર-ઠેર ભરાયેલા વરસાદી પાણીને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

NDRFની ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

આ કટોકટીના સમયમાં વહીવટી તંત્ર દ્વારા ત્વરિત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને પાંડેસરાના નાગશેનનગરમાં ઘરોમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા લોકો માટે NDRFની ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.તંત્ર દ્વારા અસરગ્રસ્તોને સતત મદદ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાત લેશે

વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાત લેશે.આ મુલાકાત દરમિયાન તેઓ અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ પર નિરીક્ષણ કરશે અને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિનો તાગ મેળવશે. મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવનાર આ સમીક્ષા બાદ રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને વધુ વેગ આપવામાં આવશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ Gujarat Dam level: ભારે વરસાદથી જળાશયો છલકાયા, 11 ડેમ હાઈ એલર્ટ પર, વાંચો લીસ્ટ