રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ત્રાટકેલા તીવ્ર વાવાઝોડા અને મુશળધાર વરસાદે સરકારી અસ્કયામતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાના કારણે ફૂંકાયેલા અતિશય ઝડપી પવનના લીધે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વીજ લાઈનો પર મોટા વૃક્ષો અને હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવી છે. આ કુદરતી આપત્તિની સીધી અસર રાજ્યના પાવર ગ્રીડ અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પર પડી છે.

કરોડોનું વીજ માળખું ખોરવાયું, અંધારપટની સ્થિતિ

ઊર્જા વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ, વાવાઝોડાના કારણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૨૨૫ જેટલા વીજ ફીડર્સ એકાએક ટ્રીપ થઈ ગયા હતા અથવા તો લાઈનો તૂટવાના કારણે બંધ પડ્યા હતા. ફીડર્સ પ્રભાવિત થવાને કારણે ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કલાકો સુધી અંધારપટ છવાઈ ગયો હતો. આ ઉપરાંત, વીજળીના ટ્રાન્સમિશન માટે અત્યંત મહત્વના એવા 99 વીજ થાંભલાઓ પણ જમીનદોસ્ત થઈ ગયા છે. તોફાનના કારણે ૧૮૨ ટ્રાન્સફોર્મર સેન્ટરો (ડીપી) બળી જવા અથવા શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જતાં પાવર સપ્લાય સિસ્ટમ સંપૂર્ણ કટોકટીમાં મુકાઈ ગઈ હતી.

વીજ કંપનીઓની સરાહનીય કામગીરી

જોકે, આવી વિકટ પરિસ્થિતિમાં પણ રાજ્યની પશ્ચિમ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત વીજ કંપનીઓ (PGVNL, DGVNL, MGVNL, UGVNL) ના ઇજનેરો અને વાયરમેનોની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. ધોધમાર વરસાદ અને જોખમી વાતાવરણ વચ્ચે પણ ટીમોએ ગ્રાઉન્ડ લેવલ પર સઘન મરામત કામગીરી હાથ ધરી હતી. તંત્રની અવિરત મહેનતના પરિણામે કુલ 182 અસરગ્રસ્ત ટ્રાન્સફોર્મરોમાંથી ૧૭૫ ટ્રાન્સફોર્મર સેન્ટરોને રેકોર્ડ બ્રેક સમયમાં રીપેર કરીને ફરીથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. બાકીના પાવર ફીડર્સ અને લાઈનોને ઝડપથી ચાલુ કરવા માટે પ્રશાસન ૨૪ કલાક મોનિટરિંગ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Navsari: ચીખલી પાસે NH-48 અને સર્વિસ રોડ પાણીમાં ગરકાવ, ભારે વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી