રાજ્યમાં સતત વરસી રહેલા ભયાનક વરસાદ અને પૂરની સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વાવ-થરાદ અને બનાસકાંઠા સહિતના 8 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર, ભાવનગર, બોટાદ, કચ્છ અને મહેસાણા ઓરેન્જ એલર્ટ પર છે. સ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને ગાંધીનગર માટે ભારતીય સેનાની 4 કોલમ રિઝર્વ રાખવામાં આવી છે.

40,500 લોકોનું સલામત સ્થળાંતર, 2,637 નાગરિકોનું રેસ્ક્યૂ

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 40,500 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા 2,637 લોકોનું સફળ રેસ્ક્યૂ કરાયું છે. અતિ અસરગ્રસ્ત નવસારી જિલ્લામાં તો કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદથી લોકોને એરલિફ્ટ કરી સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

વાહનવ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાયો: 1,100 રસ્તાઓ બંધ

ભારે વરસાદ અને ઓવર ટોપિંગના કારણે રાજ્યમાં 1,100 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. વલસાડ, નવસારી અને અમદાવાદ જિલ્લામાં એસટી બસની 1,600 થી વધુ ટ્રિપ રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, પૂરના કારણે 94 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં નાગરિકો અંધારપટમાં મુકાયા છે, જેને પુનઃશરૂ કરવા ટીમ કાર્યરત છે.

વરસાદી આફતમાં 5 લોકોના મોત, કેશ ડોલ્સ માટે રૂ. 40 કરોડ મંજૂર

રાજ્યમાં 22 તારીખથી આજ સુધીમાં વરસાદી આફતને કારણે કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં અગાઉ તાપી અને વલસાડમાં 2 મોત નોંધાયા હતા, જ્યારે આણંદ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ રાહત કાર્ય ઝડપી બનાવવા માટે સરકારે કેશ ડોલ્સ પેટે રૂ. 40 કરોડની રકમ મંજૂર કરી છે, જે વિવિધ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.

શાળા-કોલેજોમાં રજા માટે જિલ્લા કલેક્ટરોને સત્તા આપાઈ

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવા માટે જિલ્લા સ્તરે કલેક્ટરોને પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણયો લેવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.


આ પણ વાંચો - Gujarat Rain Update: પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાની એન્ટ્રી, HADR ઓપરેશન શરૂ, 43 લોકોનું રેસ્ક્યૂ