રાજ્યમાં ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. જો કે, અષાઢી બીજના પવિત્ર દિવસે ફરી એકવાર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ શુકનવંતા મંડાણ કર્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી અને જૂનાગઢ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના સુરતમાં વરસાદની ધમાકેદાર રી-એન્ટ્રી થઈ છે.

બગસરા પંથકમાં વિરામ બાદ વરસાદ 

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. અષાઢી બીજના પર્વે જ વરસાદ પડતાં સ્થાનિક ખેડૂતો તેને શુકનવંતો ગણાવી રહ્યા છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. જૂનાગઢના કેશોદ અને વંથલી પંથકમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં કપાસ અને મગફળીના પાકને મોટો ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મેઘરાજા સુરત પર મહેરબાન થયા

સુરત શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ગાયબ થતાં નાગરિકો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે વહેલી સવારથી જ મેઘરાજા સુરત પર મહેરબાન થયા છે. શહેરના ખટોદરા, અઠવા, રીંગ રોડ, અડાજણ, ભટાર, વેડ રોડ અને વરાછા સહિતના વિસ્તારોમાં ધીમી તેમજ મધ્યમ ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડતાં ખેતીના પાકને મોટું જીવનદાન મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદનું જોર હજુ વધી શકે છે.

આ પણ વાંચો: Rajkot: જામ ટાવર પાસે ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, ચાલક વાહન મૂકી ઘટનાસ્થળેથી ફરાર